Saturday 3 November 2012

ડુંગળી કાપતા આંખમાં પાણી શા કારણે આવે છે?

તમારા માતા-પત્નિ-બહેન રસોઈ બનાવતા બનાવતા રોતા હોય તો ચિંતા કરતાં નહી કારણ કે ડુંગળી કાપતાં કાપતાં આંખ માંથી  નીકળતા પાણી અને દુ:ખના કારણે આંખમાંથી નીકળતા આંસુ એ તદ્દન અલગ બાબત છે.

જ્યારે ડુંગળી કાપીએ છીએ ત્યારે ડુંગળીમાં રહેલ કુદરતી રસાયણ વાતાવરણમાં મુક્ત થાય છે અને જેના કારણે આપણી આંખ માંથી પાણી વહે છે. આ રસાયણ સલ્ફર છે. સલ્ફર કુદરતી રીતે ધણી વસ્તુઓમાં હોય છે.
ડુંગળી કા૫તાં ડુંગળીમાંથી  મુક્ત થતુ સલ્ફર આજુબાજુના વાતાવરણમાં ભળે છે.જે આંખ અને નાક દ્વારા શરીરમાં પ્રવેશે છે. આંખ અને નાક બન્ને સલ્ફરથી બચવા પ્રયત્ન કરે છે અને જેના ૫રીણામે આંખ અને નાકમાંથી પાણી નીકળે છે આ રીતે આંખ અને નાકમાં દાખલ થયેલ સલ્ફર પાણીમાં ઓગળી શરીરની બહાર પાણી સાથે વહી જાય છે અને શરીર પોતાનું રક્ષણ કરે છે કેવી અદ્દભૂત કુદરતી વ્યવસ્થા?
ડુંગળીથી થતી મુશ્કેલીનું પ્રમાણ અલગ અલગ લોકોમાં અલગ અલગ જોવા મળે છે. ઘણા લોકો પાસે આનાથી બચવાના ઉપાયો હોય છે. જે માંથી  સૌથી સામાન્ય ઉપાય ડુંગળી કાપતી વખતે ડુંગળીને પાણીમાં બોળી રાખો. અન્ય ઉપાય એ છે કે ડુંગળી કાપતા પહેલા તેને ફ્રિઝરમાં ઠંડી કરી લો અને અન્ય ઉપાય  તરીકે ડુંગળી કાપતી વખતે ગોગલ્સ પહેરી રાખવા.
જો તમારા ૫રિવારમાં ડુંગળી કાપતા થતી બળતરાથી બચવાના અન્ય ઉપાયો હોય તો જરૂરથી કોમેન્ટમાં લખજો.

થોડું રસાયણવિજ્ઞાન...

જ્યારે ડુંગળી કાપવામાં આવે છે ત્યારે તેના કોષોમાં રહેલ રસાયણ એમીનો એસિડ સલ્ફોક્સાઈડ મુક્ત થાય છે. મુક્ત થતુ રસાયણ ડુંગળીમાં રહેલ એન્ઝાઈમ સાથે પ્રક્રિયા કરી સલ્ફોનિક એસિડમાં રૂપાંતર પામે છે. આ એસિડમાંથી એક ખાસ પ્રકારનો એસિડ ૧-પ્રોપેન સલ્ફોનિક એસિડની અન્ય એન્ઝાઈમ એલ.એફ.એસ. સાથે પ્રક્રિયા કરી પ્રોપેનાથીઆલ એસ-ઓક્સાઈડમાં રૂપાંતર પામે છે જે વાયુ સ્વરૂપમાં હોય છે જે હવામાં ભળી આંખ અને નાકમાં દાખલ થાય છે જ્યાં તે આંખ અને નાકમાં રહેલ પાણી સાથે પ્રક્રિયા સલ્ફયુરિક એસિડમાં રૂપાંતર પામે છે અને જે આંખ અને નાકમાં બળતરા ઉત્પન્ન કરે છે અને જેનાથી બચવા આપણી આંખ અને નાકમાંથી પાણી વહેવા લાગે છે. આ પાણી સાથે સલ્ફ્યુરિક એસિડ પણ વહી જાય છે અને તમારી આંખ અને નાક સલ્ફ્યરિક એસિડથી બચી જાય છે.

1 comment:

  1. હેલ્મેટ પહેરી રાખવું જોઈએ.

    ReplyDelete